યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અધિક શ્રાવણ સુદ પૂનમના દિવસે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફારનો નિર્ણય કરાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ મંદિરમાં યોગ્ય રીતે દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરાઇ છે. ત્યારે પોલીસે બંદોબસ્તની તૈયારી કરી દીધી છે. મંદિર કમિટી દ્વારા ગાય પૂજા ,તુલા, રાજભોગ બંધ રાખવામાં આવ્યા છે. તેમજ ધજાને મંદીરની અંદર લઈને પ્રવેશ કરવા દેવામાં આવશે નહી તેના માટે મંદિરની બહાર યોગ્ય જગ્યાએ ધજાને જમા કરવાની રહેશે.
યાત્રાધામ ડાકોરમાં મંદિરના સમયમાં ફેરફાર કરીને આ સમય કરાયો છે. જેમાં તા. 1 ઓગસ્ટને મંગળવારે સવારે 5 વાગે મંગળા આરતી થશે. જે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લા રહેશે, 8 થી 9 વાગ્યા સુધી ભગવાન શ્રી રણછોડજી બાલ ભોગ, શ્રૃંગાર ભોગ અને ગોવાળ ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે. આ બાદ 9:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ 1: 30 થી 2:00 વાગ્યા સુધી ભગવાન શ્રીજી રાજભોગ આરોગવા બિરાજશે બાદમાં 2 થી 3 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ 3 થી 4 વાગ્યા સુધી પોઢી જશે.બાદમાં 4 વાગે મંદિર ખુલશે અને આરતી થશે. ત્યારબાદ નિત્ય ક્રમ અનુસાર સેવા પૂજા થઈને ભગવાન રણછોડરાયજી અનુકૂળતાએ પોઢી જશે.
